સ્વામી વિવેકાનંદનાં શિષ્યા ભગિની નિવેદિતા આંગ્લ મહિલા હોવા છતાં તેમને ભારતીય સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા હતી કે તેઓ કોઈ પણ સ્થળે ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન અવશેષ જોતાં તો તરત જ તેઓ એનો આદર કરી માનપૂર્વક તેને વંદન કરતાં.
એકવાર તેઓ સારનાથ ગયાં. સારનાથમાં જૂના પથ્થરો અને લાકડાના ટુકડાઓ પર બૌદ્ધ સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રકામ હતું. કેટલાક પથ્થરો પર ભગવાન બુદ્ધનાં ઉપદેશ-વાક્યો લખવામાં આવ્યાં હતાં.
આ જોતાં જ એ સન્નારીનું મન હર્ષથી નાચી ઊઠ્યું. તેમણે ત્યાંનાં રખેવાળને પૂછ્યું, ‘‘ભાઈ, હું આને સ્પર્શી શકું?’’
રખેવાળે કહ્યું, ‘‘હા, ચોક્કસ! પણ એમાં પૂછવાનું શું? અને મને એ પણ કહો કે સ્પર્શથી આપ્ને શું મળશે?’’
અને સન્નારીએ જે જવાબ આપ્યો તે સૌ દેશવાસીઓએ યાદ રાખવા જેવો છે. તેમણે કહ્યું, ‘‘ભાઈ! આ માત્ર પથ્થરો નથી! આ તો પાવન તીર્થો છે. આવા તમામ સ્મારકો આપણા સૌ માટે તીર્થ સમાન હોવા જોઈએ. એનાં સ્પર્શથી મનને શાંતિ મળે છે.’’
જે ભૂમિ પર શૂરવીરો જન્મ્યા છે, જે ભૂમિ માટે બલિદાનો આપ્યા છે, શૌર્ય દાખવીને ભૂમિનું રક્ષણ કર્યંુ છે એ તમામ ભૂમિ, સ્મારકો, સ્થાપત્યો, સ્થાનો અને ભૂમિનો કણકણ આપણા સૌ માટે શૌર્યતીર્થો છે. આપણે એ ભૂમિની મુલાકાત લઈને, એને સ્પર્શીએ, વંદન કરીએ અને એની માટી માથે ચડાવીએ, એ જ આ શૂરવીરો અને શૌર્યતીર્થોનું સાચું સન્માન છે.