Archive for April, 2012
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
ખેતરમાં, જંગલમાં, ઘરમાં કે ઘરની બહાર અનેક જાતનાં જીવડાં જોવા મળે છે. તેમાંથી મોટા ભાગનાં જીવડાં મનુષ્ય માટે હાનિકારક છે. જીવડાંનું કદ સામાન્ય રીતે નાનું મોટું હોય છે. કેટલાંક જીવડાંની પાંખો મોટી હોય છે તો કેટલાંકની પાંખો નાની હોય છે. અમુક જીવડાં તો એટલાં સૂક્ષ્મ હોય છે કે જેને નરી આંખે જોઇ શકાતાં નથી, તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર વાપરવું પડે છે. જીવડાંના નાશ માટે પેસ્ટ કંટ્રોલનો વ્યવસાય વિકસ્યો છે.
ચીનના રાજકર્તા માઓત્સે તુંગે તેની પ્રજાને ઉપદેશ આપતાં કહ્યું હતું કે, ‘તમે તમારા કામથી પરવારી જાઓ ત્યારે પલાંઠી વાળીને બેસી ન રહેતા, બલકે જીવડાં મારજો. જેથી તમારું ઘર રહેવાલાયક બનશે અને ઘણા રોગો ફેલાતાં અટકશે અને તમે વધુ તંદુરસ્ત રહેશો.’ આ ઉપદેશ એવું સૂચવે છે કે ચીનમાં જીવડાંની વસતી વધુ હોવી જોઇએ. માઓત્સે તુંગના ઉપદેશને કારણે લોકો જીવડાં મારવા માટે પ્રેરાયા હતા. આજે માખીઓ કે જીવડાંના ઉપદ્રવથી ચીનની પ્રજા મુક્ત છે. ચીનના વૈજ્ઞાનિકો જીવજંતુની વિવિધ જાતોને શોધવામાં પ્રવૃત્તિશીલ છે. જુદાં જુદાં જંગલોમાં ફરીને વધુમાં વધુ જીવજંતુઓનો અભ્યાસ કર્યો છે. પરદેશનાં જંગલોમાં રખડીને જીવડાંની વધુ બાવીસ જાતો ઓળખી છે.
જીવજંતુ વિશે એટલું બધું અજ્ઞાન છે કે વૈજ્ઞાનિકોને જગતમાં કેટલાં જીવડાં છે તેની પૂરી જાણકારી નથી. જીવડાંની કેટલી જાતો છે તે માટે પણ વૈજ્ઞાનિકો એકમત નથી. જીવડાંની ૩૦ લાખ જેટલી જાતો છે. એમ માનનારો એક વર્ગ છે, બીજો મત એવો છે કે ૪૦ લાખ જેટલી જાતનાં જીવડાં જગતમાં અસ્તિત્વ ધરાવે છે. જીવડાંની બધી જાતોનું પૂરું વર્ગીકરણ હજુ સુધી થઇ શક્યું નથી. જીવજંતુની કેટલી જાતો છે તે ગણવાનું વૈજ્ઞાનિકો માટે મુશ્કેલ છે એટલે તેમણે એક સરળ રસ્તો શોધ્યો છે. એક ચોક્કસ વિસ્તારમાં એક ચોરસવાર જેટલી ભીની-ભેજવાળી જગ્યામાં માટીમાં કેટલાં જીવડાં છે તેની ગણતરી કરવાનું સરળ છે. આ ગણતરી પરથી ત્રિરાશિ માંડીને જગતમાં કેટલાં જેવડાં છે તેનો અડસટ્ટો લગાવી શકાય છે. સામાન્ય ગણતરી એવી છે કે એક એકર જેટલી જમીનમાં આશરે ૪૨થી ૪૫ જાતનાં જીવડાં જોવા મળે છે.
જીવડાંની જેટલી જાત હોય તેમાંથી ઉપદ્રવી જીવડાંનો નાશ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે, જગત પર જાણે જીવડાંઓનું જ સામ્રાજ્ય હોય અને આપણે જીવજંતુના જગતમાં હરતાફરતા હોય એવું લાગે છે. મનુષ્ય પાસે ગમે તેટલાં આધુનિક યંત્રો કે રસાયણો હોય, પરંતુ તે બધાં જીવજંતુને કાબૂમાં રાખી શકતો નથી. પેસ્ટ કન્ટ્રોલનો ધંધો આનો જીવતો જાગતો પુરાવો છે. ઘરની વાત લઇએ તો પેસ્ટ કંટ્રોલ કરાવ્યા પછી પણ બધાં જંતુઓ મરતાં નથી, થોડે થોડે સમયે પેસ્ટ કંટ્રોલ કરાવવું પડે છે. ચાંચડ, માંકડ, વાંદા, મચ્છર, ઊધઇ આપણા ઘરનો કબજો જમાવીને બેઠાં છે. કેટલાંક જીવડાં એવાં છે કે જેના પર જલદ રસાયણોની પણ અસર થતી નથી.
૧૯૪૫માં પેનિસિલિનની શોધ થઇ ત્યારે મનુષ્યને નિરાંત થઇ હતી કે એન્ટિબાયોટિકથી રાહત થશે, પરંતુ એન્ટિબાયોટિક રસાયણની અસર ઝાઝી ટકી શકી નથી. ડી.ડી.ટી.ની જ્યારે શોધ થઇ ત્યારે પણ આપણે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આજે એવી પરિસ્થિતિ છે કે મોટા ભાગના દેશોમાં ડી.ડી.ટી.ના છંટકાવ પર પ્રતિબંધ છે. એન્ટિબાયોટિકની જરૂર શરીરની અંદરનાં જંતુઓ માટે છે, જ્યારે ડી.ડી.ટી.ની જરૂર બહારનાં જંતુઓ માટે છે. જંતુનાશક દવાના છંટકાવથી મોટા ભાગનાં જીવજંતુઓ નાશ પામે છે, પરંતુ જે જીવજંતુઓ બચી જાય છે તેઓ રસાયણો સામે પ્રતિકારક શક્તિ મેળવે છે. આ પ્રતિકારક શક્તિ તેમનાં વંશજોમાં પણ આવે છે. આવાં જંતુઓ સામાન્ય જંતુનાશકોથી મરતાં નથી. વાંદાનું ઉદાહરણ લઇએ તો તે કપરી પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. વાંદાનું ડોકું કપાઇ જાય તો પણ તે જીવી જાય છે. ખોરાક લેવાનું બંધ થાય એટલે મરી જાય છે, પણ થોડા સમય તો તે જીવે જ છે.
જંતુનાશક રસાયણોથી અસર ઓછી થવા માંડી છે, તેની સામે જીવડાં ટક્કર લઇ રહ્યા છે. રસાયણોથી સીઝન્ડ થયેલાં જંતુઓને કેવી રીતે મારવા એ એક કોયડો છે. જંતુના શરીરમાં જંતુનાશક દવારૂપી ઝેર દાખલ થાય ત્યારે તેના શરીરમાં સામનો કરવા માટે એન્ટિબોડીઝ (પ્રતિવિષ) તૈયાર થાય છે. જો જંતુનાશકનું ઝેર, પ્રતિવિષ કરતાં ઓછું હોય તો જંતુનાશકની અસર થતી નથી. જો પ્રતિવિષનું પ્રમાણ ઓછું હોય અને જંતુનાશકનું રાસાયણિક ઝેર વધુ હોય તો જંતુ મૃત્યુ પામે છે. હવે એવો સમય આવશે કે જીવડાં જંતુનાશકનું ઝેર પચાવી શકશે, ત્યારે જગત, જીવડાંથી ખદબદતું થશે. જીવડાંના નાશ માટે કેટલીક ઘરગથ્થુ રીતો પણ છે તેનાથી કુદરતી રીતે જ પેસ્ટ કન્ટ્રોલ થાય છે. જીવજંતુઓ જીવો અને જીવવા દો એવું માને છે. આપણે તેનો પ્રતિકાર તેમની અવસ્થા અને જથ્થાને ધ્યાનમાં રાખીને કરીશું તો જ જીવડાંથી બચી શકાશે.